RajBhakti
Books Poems

સ્વદોષ-દર્શન

પૂ. શ્રી બ્રહ્મચારીજી — દોહરા (રત્નાકર પચ્ચીસી અનુસાર)


મંગલાચરણ

આપ્ત પુરુષ ગુરુરાજ મુજ, દીનાનાથ દયાળ;
દિલ ખોલી કહું દોષ મુજ, શરણાગત પ્રતિપાળ.

સ્વપ્ન રૂપ સંસારમાં, રચી-પચી મન મૂંઝાય;
જાગૃત કરી નિર્મળ કરો; દ્રષ્ટી મુજ ગુરૂરાય.


મોક્ષ લક્ષ્મી લટકાં કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ;
ઇંદ્ર નરેન્દ્ર પડે પગે; અતિશય-શાળી આપ.

ચિરંકાળ જયવંત હો ! સર્વજ્ઞ ગુરુ દેવ;
બંધાયેલો અજ્ઞ હું, અંધ બંધની ટેવ.

ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર;
ભારે ભવ-વ્યાધી થકી; વૈધ નિરાગી તાર.

જાણો છો સહુ હે ! પ્રભુ, તો પણ વીતક વાત;
કંઇક કહું હું આપને; ભોળા ભાવે તાત.

બાળ બાળ લીલા સહિત, દોષ કહે જે હોય;
ભોળા ભાવે તાતની, આગળ ભય સહુ ખોય.

તેમ કહું છું સત્ય હું, મુજ અંતરના ભાવ;
પશ્ચાતાપ વડે ગ્રહી, રાજપ્રભુ તુજ પાવ.

ના દીધું મેં દાન કે, શીલ ન સેવ્યું શુદ્ધ;
તપ તપીયો નહીં આ ભવે, થયો ન ભાવ પ્રબુદ્ધ.

૧૦

ઉત્તમ નર ભવ પામીને, કર્યું ન કરવા જોગ;
ભ્રાન્તિમાં ભમતા વૃથા, લૂંટાયો મુજ યોગ.

૧૧

ક્રોધ-લાય લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ;
અભિમાન-અજગર ગળે, નહિ નાઠાનો લગ.

૧૨

મૂંઝવે માયા-જાળ આ, ઘેરી રહી ચોફેર;
ભય ભંજન ભગવાન તું, ભજું તને કયી પેર.

૧૩

પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ઘરી ખંત;
આ ભવમાં સુખ ના દીઠું, શું કહું? હે ભગવંત.

૧૪

ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કોણ ?
અધમોદ્ધારણ ‘નાથ બિન, બિગરી સુધારે કૌન ?’

૧૫

મનહર વર્તનવંત તું, મુખ-શશી અમી સમ વેણ;
અપૂર્વ યોગે સાંભળી, હર્ષ ઝરે નહિ નેણ.

૧૬

કઠોર મુજ મન હું ગણું, જડ જેવું યે નાંહિ;
ચંદ્રકાંત પત્થર છતાં, દ્રવે ચાંદની માંહી.

૧૭

ભવ ભમતા હું પામિયો, આપ કૃપાથી સાર-
રત્નત્રય દુર્લભ મહા ભાવ દયા-દાતાર.

૧૮

પમાદરૂપ નિદ્રા વશે, ખોયા એ ત્રણ રત્ન;
કોને કહું તે હે ! પ્રભુ, કેવો કરું પ્રયત્ન?

૧૯

વૈરાગ્યરંગે જન ઠગ્યા, દઈ જન-રંજન બોધ;
વાદ કર્યા વિધા ભણી, કરણી હસવા જોગ.

૨૦

પરનિંદા-વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ;
પરનારી નીરખી નયન, અંજાયાં વિષ-ચૂર્ણ.

૨૧

પરનું બુરું ચિંતવ્યે, મન મુજ થયું મલીન;
શીય વલે મારી થશે? દીન-બંધુ હું દીન.

૨૨

કામ-પીડા વશ થઇ, અરે ! વિષય વિષે બની અંધ;
આત્માનો વૈરી થયો, બાંધી કર્મના બંધ.

૨૩

આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ;
વગર કહ્યે જાણો છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ.

૨૪

મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મ-હિત હણનાર;
તજી ‘પરમ ગુરુ’ મંત્ર જે ઉતારે ભવપાર.

૨૫

કુશાસ્ત્ર વચનો વડે, ઉત્થાયાં ઉથાપ્યાં સત્શાસ્ત્ર;
આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર !

૨૬

પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાન્ત-મતિ મોહાંધ;
ચિંતવતો ચંચળ નયન, નારી અંગોપાંગ.

૨૭

મૃગ-નયના નિહાળતાં, લાગ્યો લવ ઉર રાગ;
શાસ્ત્ર-સમુદ્રે મગન મન, તોય તજે નહિ ડાઘ.

૨૮

મળે ન મુજમાં રૂપ, ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય;
તો પણ માન મૂકાય ના, અહંકાર ઉભરાય.

૨૯

ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય;
વય ગઈ, તોય ન વિષયની, અભિલાષા દૂર થાય.

૩૦

દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય;
મહા મોહ મૂંઝવે મને, સ્વામી ! કરો સહાય.

૩૧

કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ;
છતાં હું સુણતો ફર્યો, “નહીં પુણ્ય કે પાપ.

૩૨

નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ;
વિષ સમ વિષય વધારતાં, પીધા મેં જીવ-લેણ.

૩૩

દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ધર્યો ન સાધુ-ધર્મ;
શ્રાવક-વ્રત સેવ્યાં નહીં, ગહન ધર્મનો મર્મ.

૩૪

મનુષ્ય ભવ મોંઘો મળ્યો, ચિંતામણિ સમાન;
અરણ્ય-રુદન સમ ગયો, વહી વ્યર્થ, ભગવાન.

૩૫

કામધેનુ, ચિંતામણિ કલ્પવૃક્ષના ભોગ;
રટી આર્ત ધ્યાને વહ્યો, કર્યું ન કરવા જોગ.

૩૬

પ્રગટ સુખદ જિન ધર્મથી, રંગાયા નહિ ભાવ;
એ મુજ મૂઢ દશા પ્રભુ ! કહી સંક્ષેપે સાવ.

૩૭

‘ભોગ રોગનું બીજ,’ ના જાણ્યું કરતા મોજ;
ધનનું ધ્યાન ધરું સદા; મરણ ન સમરું રોજ.

૩૮

સ્ત્રી-ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય;
કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોય.

૩૯

સંતોષ્ણું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર;
પરોપકાર કરી નહીં પામ્યો, સુયશ પવિત્ર.

૪૦

તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ;
વ્યર્થ ગુમાવ્યો ભવ બધો, વિસારી આત્માર્થ.

૪૧

સદગુરુનાં વચનો સુણી, જાગ્યો નહિ વૈરાગ્ય;
શાંતિ સેવી ના શક્યો, સુણી દુર્જનનાં વાક્ય.

૪૨

આત્મજ્ઞાનનો લેશ નહિ, મુજમાં હે ! ગુરુ રાજ !
ભવજળ કેમ તરાય તો ? તું મુજ ધર્મ જહાજ.

૪૩

પુણ્ય કર્યું નહિ પર ભવે, આગળ પણ નહિ થાય;
આ ભવ, ગત ભવ, ભાવિ ભવ, ત્રણે નકામા જાય !

૪૪

શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુજ વાત !
ક્યાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિશાત !

૪૫

તુજ સમ તારક કો નથી, દીન જનના આધાર;
દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર.

૪૬

તો પણ કંઈ પણ યાચના, ના ઘનની ઘરું ઉર;
કિંતુ યાચું આટલું, કેવળ કેવલ-સૂર !

૪૭

રત્નાકર, મંગલનિધિ, બોધિ-રત્ન દે દેાન;
ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મોક્ષ નિદાન.


ઉપસંહાર

૪૮

મૂંગા વાચા પામતા, પંગુ ગિરી ચઢી જાય !
ગુરુકૃપા-બળ ઓર છે, અંધ દેખતા થાય !

૪૯

જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર !
એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર !

૫૦

અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ;
રડવડતો કયમ રાખશે ? બનું નહિ નારાજ.

૫૧

મુજ અવગુણ, ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ;
બાળક કર પ્હોળા કરી, દે દરિયાનું માપ.

૫૨

સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાળ;
અચૂક આશ્રય આપીને, પળ પળ લ્યો સંભાળ.