અર્પણ
પૂ. શ્રી મગનબાપા - ૧૧મું દેહવિલય વર્ષ-નિમિત્ત
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ખડ્ગાસનવાળા ચિત્રપટના, વડવા આશ્રમના મોટા દરવાજે, ૧૩ વર્ષની ઉંમરે દર્શન થતાં જ પૂર્વભવના સંસ્કારોને લઈ નજરાઈ જનાર અને ૮મેં વર્ષે સુણાવ ગામની ભાગોળે અને ૧૪મેં વર્ષે અગાસ ક્ષેત્રે શ્રી લલ્લુજી મહારાજ - પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરનાર બા.બ્ર.પૂ.શ્રી મગનબાપાએ ૧૯મેં વર્ષે અગાસ ક્ષેત્રે પૂ. પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર સાથે આજ્ઞાભક્તિ અને સાત વ્યસન ત્યાગ, રાત્રિભોજન ત્યાગ અને સાથે આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા લીધી અને ૧૦૦ વર્ષ અને ૭ દિવસના આયુષ્યની છેલ્લી પળ સુધી તે આજ્ઞા સાંગોપાંગ પાળી.
૫.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાને પ્રરૂપેલ વીતરાગના મૂળમાર્ગને આત્મસાત્ કરી-અનુભવી-તેની ભક્તિનો લ્હાવો પોતે લૂંટી, અન્ય સેંકડો મુમુક્ષુઓને લૂંટાવનાર પૂ.શ્રી મગનબાપાની આઠ આઠ દાયકાની અજોડ આશ્રયભક્તિ અને પ.કૃ.દેવ પ્રત્યેની અવિચળ શ્રદ્ધાને આ પુસ્તિકા ‘આંખે દેખ્યા અહેવાલ રૂપે’ ભક્તિ રૂપે અર્પણ કરવામાં આવે છે.
‘રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ;
જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ છેદ.’