‘શ્રીમદ્ રાજચંદ્રને આ કાળે પરમાત્મા તરીકે ઓળખી - ઓળખાવનાર’
પૂ. શ્રી મગનબાપાની જીવનયાત્રા
જૈન અધ્યાત્મ જગત શ્રીમદ્દ રાજચંદ્રના નામથી અજાણ નથી. તેઓના સ્તુતિ પાઠકો તેમને પરમક્રપાળુદેવ તરીકે ઓળખે છે-સંબોધે છે. પ.કૃ.દેવનો બાલ્યાવસ્થાનો કાળ કાઠિયાવાડમાં મોરબી નજીકના વવાણિયા નામના નાના ગામમાં ગયો. વ્યવસાય ક્ષેત્ર મુંબઈ રહ્યું, પણ અધ્યાત્મ ક્ષેત્રે વધુમાં વધુ લાભ ચરોતર પ્રદેશના લોકોને થયો. પ.કૃ.દેવના આજે લગભગ ૪ થી ૪ ૧/૨ લાખ સ્તુતિ પાઠકોમાંથી ૭૫ હજારથી લાખ જેટલાં જૈનો અને ૩ લાખ જેટલા પાટીદારો અને અન્ય જૈનેતરો છે.
તેમાંના આ એક પાટીદાર કુટુંબના શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ કે જેઓએ આ ભવે શતાયુ જીવનના છેલ્લા ૮ દાયકા ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર (પ.કૃ.દેવ) ની ભક્તિ કરી અને કરાવી. તેવા પ્રથમ હરોળના ભક્તની ભક્તિ વિષે કંઈક આલેખન કરવાનો અહીં પ્રયાસ કરેલ છે.
આણંદ જીલ્લાના નાનકડા, સુણાવ નામનાં ગામમાં, એક સાધારણ પણ સદાચારી પાટીદાર અને કૂળ ધર્મે વૈષ્ણવ કુટુંબમાં તેઓનો જન્મ થયેલ. બાળપણમાં પિતા અને કાકા સાથે રામ અને કૃષ્ણની કથા વાર્તા સાંભળવા જવાનું અવારનવાર બનતું. પોતે ભક્તિના લહેકાથી ઘણી વાર કહેતા કે, ’ એ વાતો સાંભળી મને પણ એમ થાય કે તે વખતે હું હોત તો કનૈયા સાથે ગેડી દડો રમતો હોત ! આગળ જતાં શ્રીમદ્દ રાજચંદ્ર, જે શ્રી મહાત્મા ગાંધીજીના સમકાલીન-હમણાંજ થઇ ગયા તેની વાતો કરતાં તેઓ પરમાર્થ ખેદ વ્યક્ત કરતાં કે, ’ આ તો આપણને ભગવાન હાથ તાળી દઈને ચાલી ગયા ?!’
પ.કૃ.દેવે લખેલ છે -
‘જેની પાસેથી ધર્મ માંગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર
ચિત્તથી વિચારવું.’
(વ.મૃ.- ૪૬૬, કો.-૧)
હવે આપણે ચોકસી કરવી કઈ રીતે ? એ એક કોયડો છે. વળી પૂ. શ્રી બ્રહ્મચારીજી
પ્રજ્ઞાવબોધમાં લખે છે…
‘ગુરુ ગુણ અમાપ અનંત,
નહિ સર્વજ્ઞ સર્વ કહી શકે,
આ રંકનું ગજું કેટલું ?
અપમાન, કોઈ કહે રખે ?’
પણ….
‘બહુમાન હૃદયે જો રહ્યું ,અપમાન સમજું ના ગણે, ટુંકારી બોલે બાળ તોતડી, વાણી પણ
મીઠી માતને.’
અને એટલે જ તો ભક્તિના બળે પ.કૃ.દેવને પૂ.શ્રી સોભાગભાઈ, પૂ.શ્રી જૂઠાભાઇ, પૂ.શ્રી અંબાલાલભાઈ, પૂ.શ્રી પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજી ઓળખી ગયા.
આ તો ભૂતકાળની વાતો! પણ આ કાળે મગનકાકાએ પ.કૃ.દેવને કેવી રીતે ઓળખ્યા? તે
જોઈએ…
તેર વર્ષની ઉંમરે શાળાના પગપાળા પ્રવાસ દરમ્યાન સુણાવથી ખંભાત - વડવા આવવું થયું.
ખંભાતમાં રાજાનો મહેલ, મંદિરો વગેરે જોઇને વડવા આશ્રમ આવ્યા. આ ભવની અપેક્ષાએ તો જેના
નામથી પણ અજાણ એવા મગનકાકાએ પ.કૃ.દેવના ખડ્ગાસનવાળા ચિત્રપટના દર્શન કર્યાં
અને…
‘એક જ સાચું વંદન, શ્રી જિનવર પતિ વર્ધમાન પ્રતિ
નરનારીને તારે ભયંકર ભવસાગરથી… !!’
‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે.’
આ વચનની યથાર્થતા પૂરવાર કરતા હોય તે પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ, જયારે શ્રીમદ્દ રાજચંદ્ર નામના કોઈ વીતરાગ પુરુષ તો નહિ પણ એક શતાવધાની, શીઘ્ર કવિ કે અરે ! એક શ્રાવક છે તેની પણ જાણકારી વગર, તે મુદ્રાના દર્શન માત્રથી જ ઓળખી ગયા, તે પણ આ ભવની અપેક્ષાએ જૈન-જૈની સંબંધીની સમજણ વગર…!!!
એતો ‘ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય’ આ બધું પૂર્વ
જન્મોની ઉચ્ચ કોટિની આરાધના, સંસ્કાર અને સત્સંગની સંધી સૂચવે છે. તેઓ તે ચિત્રપટમાં
નીતરતી વિતરાગતાથી પકડાયા-ગ્રહાયા, તે એવા કે તે સમયના બાળ માનસ પર એક અલૌકિક
છાપ પડી અને એવા તો નજરાઈ ગયા કે છ-છ મહિના સુધી પોતાને સ્વપ્નમાં પણ પ.કૃ.દેવના
દર્શન થયા કરે, અને પરિણામે -
‘એનું સ્વપ્ને જો દર્શન પામે રે,
તેનું મન ન ચડે બીજે ભામે રે’
અને મન બીજે ભામે ચડતું બંધ થયું. કુળધર્મે વૈષ્ણવ પરિવારમાં ઉછરેલ એવા તેઓએ એક-બે નહીં,
૩૩ કરોડ દેવ-દેવીઓ, કુળદેવતા, ભૂત-પ્રેત, ડેન-ડાકણ, કુળગુરુ, ભૂવા, મંત્ર-તંત્ર વગેરે બધી
માન્યતાઓ જડમૂળથી કાઢી નાખી એકદમ જ જાણે પતિવ્રતા ભક્તિથી…
‘બીજો મનમંદિર આણું નહિ …’
તેમ રોમે રોમ પ.કૃ.દેવ જ !
‘મેં, તુંજ કારણ સ્વામી, ઉવેખ્યા સૂર ઘણાં’
આ બધું ધીરે ધીરે નહીં… એકી સાથે જ, અનાદિ મિથ્યા માન્યતાનો એક સામટો ગોટો વાળી
નાખ્યો, અરે! સ્વપ્નમાં દેવો ડરાવે કે ધમકાવે, તો મગનકાકા સામો પડકાર કરે કે -
‘આ મગન હવે - રાજ મગન - તમારો નથી,
તમારો થાય તેમ નથી.’
શાળાનો ૭ વર્ષનો અભ્યાસ પૂરો થયો અને શાળાંત પરીક્ષા પાસ કરી વણાટ અને ઉર્દૂભાષા પણ શીખ્યા, તે એટલે સુધી કે ઉર્દૂની છઠ્ઠી પરીક્ષા કાબીલ પણ પાસ કરી, ઓગણીશમેં વર્ષે શિક્ષકની નોકરી રૂ.૧૦/-ના પગારથી શરુ કરી. અમદાવાદની ટ્રેઈનીંગ કોલેજમાં જઈ શિક્ષકની પરીક્ષા પાસ કરી જે આગળ જતાં હેડમાસ્તર બનવામાં કામ આવી. (પગાર -રૂ. ૧૫/-)
અગાસ આશ્રમમાં પૂ. શ્રી લઘુરાજ સ્વામી તેમજ બ્રહ્મચારીજી અને પૂ. મુનિશ્રી મોહનલાલજી મહારાજના દેહવિલય બાદ અિગ્નસંસ્કાર વખતે મગનકાકા હાજર હતા.
પ.કૃ.દેવની દાસી તરીકે ભક્તિ કરનાર શ્રી લલ્લુજી સ્વામી કે જે આ માર્ગમાં ‘પ્રભુશ્રીજી’ તરીકે ઓળખાય છે, તેમના પ્રથમ દર્શન આઠ વર્ષની ઉંમરે થયેલ. પોતાથી વરિષ્ઠ શિક્ષક શ્રી મનહરભાઈ માસ્તર કે જેઓ જન્મે જૈન હતા તેઓના પરિચયે જૈન ધર્મ વિષે અને શ્રીમદ્ રાજચંદ્ર વિષે થોડે થોડે જાણવા લાગ્યા.
ફરી અગાસ ક્ષેત્રે ૧૪ મેં વર્ષે પ્રભુશ્રીજીના દર્શન થયા. અને
ઓગણીસ વર્ષની ઉંમરે અગાસ આશ્રમમાં પૂ. પ્રભુશ્રીજી અને પૂ. શ્રી
બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા ગયા. પૂ. પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે પૂ.
બ્રહ્મચારીજીએ પ.કૃ.દેવના ચિત્રપટ સમક્ષ મગનકાકાને ૩ નમસ્કાર કરાવી, સહજાત્મસ્વરુપ
પરમગુરુ મંત્ર, ત્રણ પાઠો (૨૦ દોહરા, યમ નિયમ અને ક્ષમાપના પાઠ) - સાથે રાત્રિભોજન
ત્યાગ, સાત અભક્ષ્ય ત્યાગ અને સાત વ્યસન (જુવા, આમિષ, મદિરા, દારી, આહેટક, ચોરી,
પરનારી) ના ત્યાગની આજ્ઞા કરી. સાથોસાથ શ્રી મગનકાકાએ આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા
માંગી જે બ્રહ્મચારીજીએ શરૂમાં નકારી અને માતાપિતાને પૂછી, તૈયાર થઇ આવવા જણાવ્યું. પણ
પોતે તૈયાર જ છે એમ કહેતાં, પ્રભુશ્રીજી પાસે જઈ વાતનો ખૂલાસો થતાં, જીવની પાત્રતા
ઓળખતાં એવા આત્મજ્ઞાની સંતે બ્રહ્મચર્યની આજ્ઞા પણ આ સાથે જ આપવા કહ્યું. આ પ્રમાણે
‘આજ્ઞાભક્તિ’ સાથે ‘આજીવન બ્રહ્મચર્ય’ વ્રતની આજ્ઞા તેઓના શબ્દમાં જ ખેંચીને લઇ
લીધી! પ.કૃ.દેવે બોધ્યું છે તે પ્રમાણે…
‘લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો’
તે મુજબ મગનકાકાને થયું કે શિક્ષકની નોકરીનો પગાર શરૂ થયો અને જાતે ખીચડી કરતાં
આવડી ગઈ તો હવે સંસાર માંડવો શા માટે? બહુ પુણ્ય કેરાં પૂંજથી મળેલ શુભ નર દેહને હારી શા
માટે જવો ? આ પ્રમાણે સંસાર માંડવાની અનાદિથી થતી ભૂલને સુધારી લીધી.
‘મુમુક્ષુને માંડ માંડ આજીવિકા જેટલું મળે તોય ઘણું છે’
તે પ્રમાણે શિક્ષક તરીકે, પગાર વધારાની વાતમાં તેમણે ક્યારેય રસ લીધો નહોતો !
પ.કૃ.દેવનું વચન છે કે - જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે
સમાધિ થઇ નહિ તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.
‘જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઇ નહિ તે
વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.’
આ ચરિતાર્થ કરી મગનકાકાએ ઉર્દૂ ભાષાની કાબેલિયત (કાબીલ પરીક્ષા પાસ)ને વિસ્મૃત કરી
અને અંગ્રેજી શીખવાનો તો વિકલ્પ જ ન કર્યો.
ભક્તિના આ ક્રમમાં શની, રવિ અને અન્ય રજાના દિવસો દરમ્યાન અવારનવાર પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે જવાનું બને. તેઓની સામે બેસી, પલાઠી લગાડી, મૌન રાખી તેમની મુખમુદ્રાના દર્શન કર્યા કરે.
બ્રહ્મચારીજીએ સૌ પ્રથમ નિયમિતતા માટે બેન્જામીન ફ્રેન્ક્લીનનું જીવન ચરિત્ર (ગુજરાતી અનુવાદ) વાંચવા આપ્યું. ત્યારબાદ મહાત્મા શંકરાચાર્યની વૈરાગ્ય સભર મણિરત્નમાળા અને મોહમુદ્દગર વાંચવા આપ્યા. ત્યારબાદ ભૌતિકસુખ માટે દેવ-દેવીને ભજવાની માન્યતાના ખ્યાલને, તેમની જ ભાષામાં, રેચ આપનાર એવો પંડિત શ્રી ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વંચાવ્યો. પછી પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણી કૃત ‘ઉપમિતિ ભવપ્રપંચકથા’ ગ્રંથ વાંચવા આજ્ઞા થઇ. આ આરસા દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી અને ત્યારબાદ બ્રહ્મચારીજીએ મુમુક્ષુઓએ પ.કૃ.દેવ પર લખેલ પત્રો તેમજ મુમુક્ષુઓએ એકબીજા પર લખેલ પત્રો વાંચવા આપ્યા. જ્યારે પૂ. લઘુરાજ સ્વામીના પ.કૃ.દેવ પરનાં પત્રો અવલોક્યા તે વિષે સત્સંગમાં ભૂતકાળ વાગોળતા તેઓ ગદ્ગદ્ થઇ જણાવતાં કે તેમની આંખોમાંથી આંસુ ટપકતા. મગનકાકા ઘણી વાર કહેતા કે, ’ પ્રભુશ્રીજી એટલે ભક્તિનો અવતાર, કળિયુગમાં ભક્તિને અવતાર લેવો હતો તે પ્રભુશ્રીજી રૂપે લીધો. જેવી હનુમાનની રામ ઉપર, ગોપીઓની કૃષ્ણ ઉપર તેવી જ ભક્તિ પ્રભુશ્રીજી એ પ.કૃ.દેવની કરી છે.’
સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિનો ક્રમ ચાલુ જ હતો. શાળાની ફરજ પૂરી કરી, સાંજે પાછા ફરી, સૂર્યાસ્ત પહેલા ભોજન લઇ નાના છોકરાઓને પાઠશાળામાં મોક્ષમાળા ભણાવતા. આ ક્રમ આઠ આઠ વર્ષ ચાલુ રહ્યો અને પૂ. શ્રી બ્રહ્મચારીજીના માર્ગદર્શન હેઠળ ફૂલ્યો ફાલ્યો ! તે એવો કે પંડિત લાલન વગેરે પણ પાઠશાળાના ક્રમ અને છોકરાઓના ઉત્સાહથી પ્રભાવિત થયેલ. આગળ જતા આમાનાં ઘણાં મુમુક્ષુઓ થયા અને અમુક હજુ પણ હયાત છે. ભક્તિના આ અવિરત ક્રમથી જાણે જલ્દી રિટાયર થવાની ઉંમરે પહોંચી જતાં, સંપૂર્ણ નિવૃત્તિ મળી ગઈ અને તેઓએ પાંચ વર્ષ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - ધામણ (સુરત જીલ્લો) ક્ષેત્રે રહી ભક્તિ સત્સંગ કર્યો અને કરાવ્યો.
ત્યારબાદ બીજા પાંચ વર્ષ વડવા ક્ષેત્રે ગાળ્યા બાદ મુંબઈના શ્રીમદ્ રાજચંદ્ર મંદિર -
ઘાટકોપર ખાતે રહ્યાં જ્યાં તેમને તો ઘરથી દૂર અને કોઈ સગું-વ્હાલું ન હોવાથી જાણે વનવાસ
માફક એકાંત માણવા મળ્યું. અહીં પાંચ વરસ ગાળ્યા બાદ, મુંબઈની ભેજવાળી આબોહવા પ્રકૃતિને
પ્રતિકૂળ જણાતા તેઓ દેવલાલી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પહોચ્યાં. અહીં તેઓને પાંચેક વરસ થયા
તે આરસામાં પૂ.શ્રી બ્રહ્મચારીજીની જન્મભૂમિ - બાંધણી મુકામે નવો આશ્રમ થયો તેથી ત્યાંના
ટ્રસ્ટીઓએ દેવલાલી પધારી પૂ.શ્રી મગનકાકાને ભક્તિ-સત્સંગ અર્થે ત્યાં પધારવા આગ્રહપૂર્વક
વિનંતી કરી જે તેમણે સહર્ષ સ્વીકારી. બાંધણી આશ્રમના પ્રારંભ - સં.૨૦૪૫ થી છેક સં.૨૦૬૫
એટલે કે ઈ.સ.-૨૦૦૯ સુધી, વીશેક વરસથી વધું અહીં તેમણે ભક્તિ-સત્સંગ કર્યો અને સેંકડો મુમુક્ષુઓને
કરાવ્યો.
‘સાધૂ તો ફિરતા ભલા’
શ્રી સુણાવ, બાંધણી, ઘાટકોપર, વડવા મંદિર, દેવલાલી
એ મુજબ કે પછી ‘જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય’ કે પછી પૂ.પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજીની માફક ઉદયને યોગે પુદ્દગલની અથડામણીએ પૂ. મગનબાપાને પણ સ્થળાંતર કરવું પડ્યું, એ જેમ હો તેમ, ‘કર્મ ઉદય જિનરાજનો ભવિજન સહાયક થાય’ તે પ્રમાણે આયુષ્યના છેલ્લા સાત વર્ષો દરમ્યાન શ્રી મગનકાકાની ભક્તિ-સત્સંગનો લાભ, મુલુંડ-મુંબઈ, આણંદ, દેવલાલી અને વડવા ક્ષેત્રે મળ્યો. દિવાળીમાં અને ખાસ તો છેલ્લા ૩-૩ વર્ષો દરમ્યાન પર્યુષણમાં, વડવા ક્ષેત્રે સેંકડો ભાવિકોએ પૂ. શ્રી મગનકાકાની ભક્તિ-સત્સંગનો લ્હાવો લઇ, પ.કૃ.દેવની શ્રદ્ધા દ્રઢ કરી પોતાની જાતને ધન્ય ધન્ય અનુભવી .
પૂ.શ્રી સોભાગભાઇને વ્યવહારિક સંકડાશના સમયે દીનતા, ભય, ભવિષ્યની ચિંતા, લોક્લજ્જા
આદિનો ભય એટલો સતાવતો કે તેઓ વારંવાર પ.કૃ.દેવને કંઈ રિદ્ધિ-સિદ્ધિ પ્રગટાવીને પણ ઉકેલ
લાવવાં વિનંતી કરતાં જે પ.કૃ.દેવ સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢતા. એક વાર ઠપકો આપતા
જણાવેલ કે…
‘રાખ્યું કંઈ રહેતું નથી અને મુક્યું કંઈ જતું નથી’
એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી.
સમાગમમાં દીનપણે આવવું નહીં.
“મે’લ તારી આબરૂને પૂળો”
અમોએ આ વાક્ય શ્રી મગનકાકાના મુખેથી સેંકડો વાર સાંભળ્યું છે. માનને, લોકલાજને, આબરૂને
કે જે પરમાર્થ આડે આવતા હોય તેને તદ્દન તુચ્છ ગણી બાળી મૂક્યા હતા. વળી ‘દીનતા
ન કરવી’ તે પૂ. શ્રી બ્રહ્મચારીજીની શિક્ષા તેઓએ સાંગોપાંગ આત્મસાત્ કરી હતી
અને કોઈ માન, પૂજા, સત્કાર આદિના ભયને ભગાવ્યો હતો. પછી ભલેને…
સભા મંડપમાં છેલ્લી હરોળમાં બેઠાં હોય કે કોઈ અન્ય વ્યાખ્યાનકાર છેલ્લી ઘડીએ ન આવે એટલે તેને
બદલે તેઓને વાંચવા બેસાડે તો પણ કંઈ મોભો જાળવવાની ફિકર નહીં, દંભ નહીં, અને હર્ષભેર તે
સ્વીકારી, માત્ર પ.કૃ.દેવના ગુણ-ગ્રામ ગાવાની તક ઉત્સુક્તાભેર ઝડપી લઇ કૃતાર્થ સમજવું એ
જાણે જીવનમંત્ર!
વળી ‘અમુક સમયે, ફલાણી જગ્યાએ પહોંચી જજો’ એટલા સંદેશા માત્રને મોંઘુ નિમંત્રણ સમજીને, વ્યાખ્યાનનો સમય, વિષય, શ્રોતાની પાત્રતા અને રૂચીને સમ્યક્ ન્યાય આપી, ભોજન માટે ગર્દીમાં, બધા સાથે જ, સામાન્ય માણસની માફક હરોળમાં ઉભા રહી જવું અને ખાસ આમંત્રિત કે વાંચનકાર-સ્વધ્યાયકારનો કંઈ મોભો કે હક્ક ભોગવવાનો સ્વપ્નેય ખ્યાલ નહીં અને છેલ્લે જો મારા ભગવાનના ગુણ ગવાતા હોય તો ભલે ‘તમે વાંચો અને હું સાંભળીશ’ એમ કહી દાસાનુદાસપણે લઘુત્વ ગુણ પ્રગટાવી - પ્રકાશી ખરેખર જ ‘આબરૂને પૂળો’ મૂકી દીધો હતો.